નવી 19 જીઆઈડીસી વસાહતોથી ગ્રામ વિસ્તારોમાં ઉદ્યોગો વિકસશે!

0
136

નવી 19 જીઆઈડીસી વસાહતોથી ગ્રામ વિસ્તારોમાં ઉદ્યોગો વિકસશે 

હાલનાં જીઆઈડીસી એકમોના અનેક પ્રશ્નો પડતર

અમદાવાદ, તા. 21 માર્ચ

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ટાઈમ્સ બ્યુરો

ગુજરાતમાં હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે પ્રધાનો અટપટા સવાલોમાંથી છૂટવા માટે અટપટા જવાબ રજૂ કરે છે, પરંતુ અપાયેલા જવાબો પરિપૂર્ણ થશે કે કેમ એ મોટો સવાલ દેખાય રહ્યો છે. ગઈકાલે વિધાનસભા ગૃહમાં  ઉદ્યોગપ્રધાન બળવંતાસિંહ રાજપૂતે ઉદ્યોગ વિભાગની માગણીઓ પરના પ્રત્યુતરમાં રાજ્યમાં નવી 19 જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી હતી. જેની પાછળનો તર્ક ફક્ત હજ્જારો રોજગારીઓ ઊભી થશે તેવો આપવામાં આવ્યો હતો આ એક સામાન્ય સપનારૂપી જવાબ કોઈ પણ સત્તાધીશો આપતા હોય છે.

મહત્વની બાબત એ છે કે વર્તમાનમાં ગુજરાતમાં કુલ  219 ઔદ્યોગિક સંકુલો (જી.આઈ.ડી.સી.) આવેલી છે, તેમાં ગઈકાલે જાહેરાત કરાયેલ નવી 19 જી.આઈ.ડી.સી. મળીને કુલ 238 થશે. જે આશ્ચર્ય પમાડે તેવી છે કારણકે આ જી.આઈ.ડી.સી. ક્યારે અસ્તિત્વમાં આવશે ક્યાં અસ્તિત્વમાં આવશે એ વિષે કોઈ ચોક્કસ રૂપરેખા કે એનું કોઈ આયોજન નથી.

અત્યારે ગુજરાતની વાત કરીએ તો એકપણ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) નથી. આ બાબતે વિવિધ સંગઠનો દ્વારા સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી જે હજુ સુધી પડતર છે. જોકે, કૅમિકલ કંપનીઓવાળા સંકુલમાં ગુજરાત હાઈ કોર્ટના હુકમને પગલે સીઈટીપી પ્લાન્ટ અનેક જગ્યાએ છે. આ સિવાય પણ પ્લૉટની હરાજી, પાણીની ઉપલબ્ધિ સહિતના નાના- મોટા અનેક પ્રશ્નોની ફાઈલો ચાલ્યા જ કરે છે. 

આ મુદે ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સના જી.આઈ.ડી.સી.ના ચૅરમૅન અને સાણંદ જી.આઈ.ડી.સી.ના પ્રમુખ અજિત શાહે જણાવ્યું હતું કે જી.આઈ.ડી.સી.ની જાહેરાત નાના-નાના ક્લસ્ટર આધારિત રિમોટ એરિયામાં છે. પહેલા નાના ગામડાઓમાં જી.આઈ.ડી.સી.નો વિચાર હતો તે ભૂલાઈ ગયો હતો, પરંતુ હવે વાહનવ્યવહાર જેવી આંતરમાળખાકીય સવલતો ઊભી થતા સ્થાનિક નાના-મોટા વ્યવસાયો વિકસી શકશે. આમ સરકાર ક્લસ્ટર આધારિત સવલતો વિકસાવવા જઈ રહી છે એટલે આવી જાહેરાત થઈ હોવાનું માની શકાય.

તેમણે જણાવ્યું હતું કે જે ગામોની જાહેરાત કરવામાં આવી છે ત્યાં હાલમાં કોઈ પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ નથી છતાં આ જાહેરાતથી શક્ય બનશે તેમ લાગે છે. રાધનપુર જી.આઈ.ડી.સી.માં છેલ્લા 20 વર્ષથી અવિકસિત છે. રિમોટ વિસ્તારોમાં ઉદ્યોગની જરૂર છે, પરંતુ સાથે સુવિધાઓ પૂરતી અપાશે તો જ અર્થ સરે  જેમ કે રાધનપુરમાં આજે પણ પાણીનો પ્રશ્ન છે. પાણી પુરવઠો ઉદ્યોગનો પાયાનો પ્રશ્ન છે. ઉપરાત વણઉપયોગી એવા પ્લૉટ પાછા લઈ લેવા, પૅનલ્ટી લગાવવી જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની જરૂર છે. ફક્ત જાહેરાતો કરવાથી કે જમીન અને પાણી આપવાથી કામ નહીં ચાલે, પરંતુ આવશ્યકતાઓ પૂર્ણ થવાથી જ વિકસાવી શકાશે.જમીન અને પાણી એ તો સામાન્ય બાબત છે પણ આ સંપૂર્ણ વાતાવરણ નથી.

તેઓએ જણાવ્યું હતું કે હારીજમાં મ્યુનિસિપાલીટીએ એસટીપી બનાવ્યો છે જ્યારે જી.આઈ.ડી.સી. આ બાબતે આગળ વધી શકતી નથી. આ પ્લાન્ટની મદદથી કરોડો લિટર પાણીનો પુન:ઔદ્યોગિક વપરાશ કરી શકાશે અને સામે તાજા પાણીની માગ પણ ઘટશે.  ગામડાઓમાં આવી જીઆઈડીસીની રચના કરીને મુકી દેવાથી કામ ચાલશે નહીં. ભલે નાના ગામડાઓમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ફૂલીફાલી નથી, પરંતુ કૃષિ આધારિત અને એન્જિનિયરિંગ ઉદ્યોગની જરૂરિયાત પહેલેથી ઊભી છે, એ તત્કાળ વિકસાવવા જોઈએ.

જીઆઈડીસી ના નિયમો પણ બદલવાની જરૂર છે. નાના એસ્ટેટમાં પાણીના દર વર્ષે 10 ટકા વધારે તો તે શક્ય નથી કારણ કે ત્યાં પાંચ ટકા ભાવ પણ વધતા ન હોય. આમ પૉલિસી અલગ-અલગ હોવી  જોઈએ. સરકારી જાહેરાત અનુસાર અમદાવાદના ગાંગડ, રાજકોટના વિંછિયા અને છાપરા, અમરેલીના સાવરકુંડલા, ગીર સોમનાથના નવાબંદર, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના થરાદ, વડગામ, લવાણા, ભીલડી અને પાલનપુર ખાતે નવી જીઆઈડીસી  પાટણમાં સિદ્ધપુર અને સાંતલપુર, ભરુચના આમોદ, મહેસાણામાં જોટાણા તથા નાની ભલુ, ગાંધીનગરમાં કડજોદરા ખાતે, છોટાઉદેપુરના લડોદ, ખેડા જિલ્લાના ઠાસરા અને નવસારીના વાંશી-બોરસી ખાતે નવી જીઆઈડીસીનું સરકારનું આયોજન છે.યોગ્ય નીતિના અભાવે જીઆઈડીસી વિસ્તારો માત્ર મોટા શહેરો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાપિત થઇ રહ્યા છે જી.આઈ.ડી.સી. વિસ્તારોનું અસંતુલિત સર્જન અને વિકાસ એ શહેરો અને ગામડા વચ્ચે સામાજિક અને આર્થિક ખાઈઓ વધુ પહોળી કરશે!