એચડીએફસીના 25 શૅર સામે એચડીએફસી બૅન્કના નવા 42 શૅર ફાળવાશે

0
53

એચડીએફસીના 25 શૅર સામે એચડીએફસી બૅન્કના નવા 42 શૅર ફાળવાશે

મુંબઈ, તા. 29 જૂન 

એચડીએફસી અને એચડીએફસી બૅન્કના જોડાણને નિયામકોની મંજૂરી મળી ગઈ હોવાને પગલે બંનેના બોર્ડની મિટિંગ 30 જૂને યોજાશે, એમ એચડીએફસીના ચૅરમૅન દીપક પારેખે મંગળવારે જણાવ્યું હતું. મર્જરના અમલની તારીખ 1 જુલાઈ છે. બજારમાં એચડીએફસીના શૅર એચડીએફસી બૅન્કના શૅર તરીકે 13 જુલાઈથી ટ્રેડ થવાની શરૂઆત થશે.  30 જૂન એચડીએફસીની અંતિમ બોર્ડ મિટિંગ હશે, એમ પારેખે જણાવ્યું હતું. 

રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયાએ એપ્રિલમાં જોડાણ સરળતાથી પાર પડે તે માટે એચડીએફસી બૅન્કને અમુક નિયમોમાં રાહત આપી હતી.  

આ જોડાણ ભારતમાં અજોડ છે. તેનાથી 168 અબજ ડૉલરની બૅન્કનું સર્જન થશે. તેની સકારાત્મક અસર બંને કંપનીઓ ઉપરાંત ગ્રુપ ઈન્શ્યોરન્સ અને એસેટ મૅનેજમેન્ટ બિઝનેસીસના લાખો ગ્રાહકો અને શૅરધારકોને થશે. એચડીએફસી બૅન્ક એચડીએફસીના 25 શૅર સામે નવા 42 શૅર ફાળવશે. એચડીએફસીએ જણાવ્યું હતું કે શૅર ફાળવણીની રેકોર્ડ ડેટને એવી રીતે નક્કી કરાશે કે સસ્પેન્ડ થનારા એચડીએફસી બૅન્કના શૅર અને 7,40,000 શૅરધારકોને ફાળવવામાં આવનારા એચડીએફસી બૅન્કના શૅર વચ્ચે કોઈ ગેપ નહીં રહે. 

આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીસના રિસર્ચ હેડ પંકજ પાંડેએ કહ્યું કે, બૅન્કિગ ક્ષેત્રમાં એચડીએફસી બૅન્ક એક મહત્વની હસ્તી છે. તેથી પોર્ટફોલિયો અને ફંડ મેનેજર્સ તેને અવગણવાનું જોખમ નહીં લે. જોડાણ પછી પણ એચડીએફસી બૅન્ક સારું રોકાણ બની રહેશે અને તેમાં સારી વૃદ્ધિ જોવાશે. તેમણે કહ્યું કે, એચડીએફસી બૅન્કનો શૅર તેની ફોરવર્ડ બુક પ્રાઈસ કરતાં 2.5-2.6 ગણા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે અને તે બજાર હિસ્સાના વધારાને તથા વૃદ્ધિની સંભાવનાને વ્યક્ત કરતો નથી.