ઋણગ્રસ્ત વીજ ઉત્પાદકોને સુપ્રીમના ચુકાદાથી રાહત

0
472

મુંબઈ:એસેટ્સ પર જંગી ઋણ ધરાવતી વીજ ઉત્પાદક કંપનીઓને સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ફાયદો થશે જેણે ઈનસોલ્વન્સી અંગે રિઝર્વ

બેન્કના ગયા વર્ષના પરિપત્રને ફગાવી દીધો છે. આ વીજ કંપનીઓ હવે ધિરાણકાર સાથે દ્વિપક્ષીય ધોરણે રિઝોલ્યુશન લાવી શકે છે.

મંગળવારે અદાણી પાવર, જેપી પાવર, રતન ઇન્ડિયા અને કેએસકે એનર્જીના શેર ત્રણ ટકાથી 11 ટકા સુધી વધ્યા હતા. ઇલેરા કેપિટલના એનાલિસ્ટ રૂપેશ સાંખેએ જણાવ્યું કે, “પ્રાઇવેટ સેક્ટરના વીજ ઉત્પાદકો માટે સુપ્રીમનો ચુકાદો પોઝિટિવ છે કારણ કે તેનાથી વીજ ઉત્પાદક કંપનીઓને મહત્ત્વની રાહત મળે છે.

આરબીઆઇએ એનપીએ અંગે કડક નિયમો લાદ્યા તેના કારણે કંપનીઓને ખોટી રીતે અન્યાય થતો હતો. સ્ટ્રેસ્ડ એસેટ્સ ધરાવતી અદાણી પાવર, જીએમઆર એનર્જી, રતન ઇન્ડિયા અને કેએસકે ધિરાણકારો સાથે દ્વિપક્ષીય ધોરણે રિઝોલ્યુશન લાવી શકશે.”

મોટા ભાગના વીજ ઉત્પાદકો પર ભારે દેવું છે અને તેમણે ઝડપથી દેવું ઘટાડવું પડે તેમ છે. અદાણી પાવરની બેલેન્સ શીટ પહેલેથી દબાણ હેળળ છે અને 31 માર્ચ 2019ના રોજ તેનો ડેટ ઇક્વિટી રેશિયો 2.59 ગણો હતો તથા તેના પર ₹53,000 કરોડનો ઋણબોજ છે. રિલાયન્સ પાવરનું કુલ દેવું 31 માર્ચ 2018ના રોજ ₹31,697 કરોડ હતું. જ્યારે જેપી પાવરનું કુલ ઋણ ₹23,416 કરોડ છે.

શેરખાનના રિસર્ચ હેડ ગૌરવ દુવાએ જણાવ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટનો ચુકાદો પાવર કંપનીઓ માટે રાહત લાવશે. ચુસ્ત નિયંત્રણો અને બધાને એક જ લાકડીથી હાંકવાની નીતિમાં ઈંધણની અછત, પેન્ડિંગ રિસીવેબલ્સ વગેરે પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા.”

આરબીઆઇના પરિપત્ર પ્રમાણે કોઈ લોનની ચુકવણીમાં એક દિવસનો વિલંબ થાય તો પણ ધિરાણકારે તેને સ્ટ્રેસ્ડ એસેટ ગણવાની હતી. ડિફોલ્ટના 180 દિવસની અંદર પ્રશ્નનો ઉકેલ ન આવે તો બેન્કરોએ ₹2,000 કરોડથી વધુ મોટી લોનના તમામ એકાઉન્ટને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) અથવા બેન્કરપ્સી કોર્ટને રિફર કરવાના હતા. 180 દિવસની અંતિમ મુદત પૂરી થાય ત્યાર પછી ધિરાણકારોએ 15 દિવસની અંદર ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ 2016 હેઠળ ઈનસોલ્વન્સી એપ્લિકેશન ફાઇલ કરવાની હતી.

આ પરિપત્રમાં આરબીઆઇએ લાગુ કરેલા લોન રિઝોલ્યુશન મિકેનિઝમ જેમ કે કોર્પોરેટ ડેટ રિસ્ટ્રક્ચરિંગ (સીડીઆર) અને સ્ટ્રેટેજિક ડેટ રિસ્ટ્રક્ચરિંગ (એસડીઆર)ને પણ પરત ખેંચવામાં આવ્યા હતા.

અગાઉ ધિરાણકારોએ સ્ટ્રેસ્ડ પ્રોજેક્ટ્સમાં નવી ઇક્વિટી લાવવા પ્રયાસ કર્યા હતા જેણે આ સેક્ટરને કોઈ રાહત આપી ન હતી કારણ કે પોલિસીની ખામીના કારણે મોટા ભાગની સ્ટ્રેસ્ડ એસેટ્સ એનપીએ બની ગઈ હતી. પાવર કંપનીઓએ આરબીઆઇના પરિપત્રને પડકાર્યો હતો અને તેમણે કોલસા અને ગેસની અછત, ડિસ્કોમ દ્વારા પેમેન્ટમાં વિલંબ, પાવર પરચેઝિંગ એગ્રીમેન્ટની ગેરહાજરી વગેરે કારણો ટાંક્યાં હતાં.