લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન સંબંધે મળનારા એક્ઝૅમ્પ્શન વિષે જાણો

0
83

તા.૨૨ માર્ચ

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ટાઈમ્સ બ્યુરો

લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન સંબંધે મળનારા એક્ઝૅમ્પ્શન વિષે જાણો

જો રહેણાંક મકાન વેચવામાં આવે અને કરદાતા એમાં મળેલા કૅપિટલ ગેઇન (મૂડીલાભ)ની રકમનું  પુનઃ રોકાણ અન્ય રહેણાક મકાનની ખરીદીમાં કરે તો આવકવેરા કાયદો ચોક્કસ કરમુક્તિ (એક્ઝૅમ્પ્શન) પ્રદાન કરે છે

રહેણાંક મકાન વેચવામાં આવે અને કરદાતા એમાં મળેલા કૅપિટલ ગેઇન (મૂડીલાભ)ની રકમનું  પુનઃ રોકાણ અન્ય રહેણાક મકાનની ખરીદીમાં કરે તો આવકવેરા કાયદો ચોક્કસ કરમુક્તિ (એક્ઝૅમ્પ્શન) પ્રદાન કરે છે. આવી મુક્તિ આવકવેરા કાયદાની કલમ ૫૪ હેઠળ ઉપલબ્ધ છે તો આવી કરમુક્તિનો દાવો કરવા માટે લાગુ પડતી શરતો અને નિયમોને વિગતવાર જાણીએ!

૧. આ લાભ માત્ર વ્યક્તિગત અથવા એચયુએફ કરદાતાઓ માટે જ ઉપલબ્ધ છે.

૨. વેચાયેલી સંપત્તિ રહેણાંક મકાન  હોવી જોઈએ.

૩. વેચાયેલી સંપત્તિ લૉન્ગ ટર્મ કૅપિટલ ઍસેટ હોવી જોઈએ (૨૫ મહિનાથી વધુ  સમયગાળા માટે રખાયેલી રહેણાક મિલકત લૉન્ગ ટર્મ કૅપિટલ ઍસેટ ગણવામાં આવે છે)

૪. ખરીદાયેલી ઍસેટ રહેણાંક મકાન હોવી જોઈએ.

૫. જૂના ઘરની ટ્રાન્સફરની તારીખના એક વર્ષ પહેલાં અથવા બે વર્ષના સમયગાળાની અંદર, કરદાતાએ અન્ય રહેણાક મકાનની ખરીદી કરવી જરૂરી છે અથવા જૂના ઘરની ટ્રાન્સફરની તારીખથી ત્રણ વર્ષના સમયગાળાની અંદર રહેણાક મકાન બાંધવું જરૂરી છે.

૬. ખરીદેલું/બાંધેલું રહેણાક મકાન ભારતની અંદર હોવું જોઈએ.

કલમ ૫૪ અને કલમ ૫૪એફનો પ્રાથમિક ઉદ્દેશ આવાસની તીવ્ર અછતને હળવી કરવાનો અને મકાન બનાવવાની પ્રવૃત્તિને વેગ આપવાનો હતો. જોકે, એવું જોવામાં આવ્યું છે કે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ આ જોગવાઈઓ હેઠળ ખૂબ જ મોંઘાં રહેણાક મકાનો ખરીદીને જંગી કરમુક્તિના દાવા કરે છે. આને કારણે આવકવેરા ખાતાએ રાખેલો ઉદ્દેશ બર આવતો નથી. આથી, ૨૦૨૩-’૨૪ના બજેટમાં મહત્તમ કરમુક્તિ ૧૦ કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

નવી કરવ્યવસ્થામાં હાઉસિંગ લોનના વ્યાજનું સેટ ઑફ મળે નહીં ત્યારે બીજો કયો વિકલ્પ?

એ નોંધવું જરૂરી છે  કે કૅપિટલ ગેઇન્સ અથવા અન્ય મકાનની ખરીદી/બાંધકામમાં રોકાણ કરેલ રકમ, એ બેમાંથી જે રકમ ઓછી હોય એટલા પ્રમાણમાં એક્ઝૅમ્પ્શન આપવામાં આવશે. હવે એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો ખરીદેલી નવી સંપત્તિની કિંમત ૧૦ કરોડ રૂપિયાથી વધુ હશે તો પણ એની કિંમત ૧૦ કરોડ ગણવામાં આવશે. આ રીતે કરવેરાની છૂટ ૧૦ કરોડ રૂપિયા સુધી મર્યાદિત રહેશે. આમ, ખરીદેલું નવું મકાન ૧૧ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હોવા છતાં એની કિંમત ૧૦ કરોડ રૂપિયા જ ગણવામાં આવશે અને ઉપરના ૩ કરોડ રૂપિયા કરપાત્ર બનશે.

આવી પરિસ્થિતિઓમાં, કલમ ૫૪ઈસી તમારા બચાવમાં આવી શકે છે. જ્યારે તમે કોઈ જમીન અથવા મકાન (અથવા બન્ને) વેચો છો અને ચોક્કસ લૉન્ગ ટર્મ કૅપિટલ ઍસેટમાં રોકાણ કરો છો ત્યારે તમે અહીં જણાવ્યા મુજબની શરતોને આધીન રહીને કૅપિટલ ગેઇનના એક્ઝૅમ્પ્શનનો દાવો કરી શકો છો…

૧. વેચાયેલી સંપત્તિ જમીન/મકાન હોવી આવશ્યક છે.

૨. નિશ્ચિત લૉન્ગ ટર્મ કૅપિટલ ઍસેટનો હોલ્ડિંગ પિરિયડ ઓછામાં ઓછો પાંચ વર્ષ હોવો જોઈએ

૩. વેચાયેલી સંપત્તિ લૉન્ગ ટર્મ કૅપિટલ ઍસેટ હોવી જોઈએ (૨૪ મહિના કરતાં વધુ હોલ્ડિંગ પિરિયડ)

૪. વેચાણના ૬ મહિનાની અંદર રકમનું રોકાણ કરવું જોઈએ.

૫. કરદાતા નાણાકીય વર્ષ દરમ્યાન કરવામાં આવેલા ૫૦ લાખ રૂપિયાથી વધુના રોકાણની કપાતનો દાવો કરી શકતા નથી, જેમાં તે પછીના નાણાકીય વર્ષમાં કરવામાં આવેલાં રોકાણોનો પણ સમાવેશ થાય છે.